ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ, જે કંઈ પણ રાત્રે સપનામાં જોતાં તે સવારના પ્રકાશની માફક જાહેર થતું, ફરી આપને એકલતા પસંદ આવવા લાગી, ફરી આપ ગારે હિરામાં એકલા રહેવા લાગ્યા અને કેટલી રાતો સુધી ઘરે ન આવતા અને ઈબાદતમાં વ્યસ્ત રહેતા, આપ ખાવા-પીવાનો સામાન ઘરેથી લઈને જતાં અને ત્યાં થોડાક દિવસ પસાર કરતાં, ફરી ખદિજા રઝી. પાસે પાછા આવતા, અને અંદાજિત એટલા જ દિવસ માટે થોડું ખાવાનું લઈને જતાં, અહીં સુધી કે આપણી પાસે સત્ય આવી ગયું, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગારે હિરામાં હતા. તો અચાનક એક ફરિશ્તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તેમની પાસે આવ્યા અને કહ્યું: પઢો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને પઢતા આવડતું નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફરિશ્તાએ મને પકડીને જોરથી દબાવ્યો, અહીં સુધી કે મારી સહન શક્તિએ જવાબ આપી દીધો, ફરી તેણે મને છોડી દીધો, અને કહ્યું: પઢો, તો મેં કહ્યું: મને પઢતા આવડતું નથી, ફરી તેણે મને બીજી વાર પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, ફરી તેણે કહ્યું: પઢો, મે કહ્યું: મને પઢતા આવડતું નથી, ફરી તેણે મને ત્રીજી વખત પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, અને કહ્યું: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. (૧) જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. (૨) પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે} [અલ્ અલક: ૧-૩]. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ આયતોને લઈ પાછા આવ્યા, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દિલ મૃત્યુના ભયથી ધ્રુજી રહ્યું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની પત્ની ખદિજા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા અને કહ્યું: મારા પર કપડાં ઢાંકી દો, મારા પર કપડાં ઢાંકી દો, તેમણે કપડાં ઢાંકી દીધા, અહીં સુધી કે તેમની ચિંતા જતી રહી, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખદિજા રઝી અલ્લાહુ અન્હાને આ ઘટના વિષે જાણ કરી અને કહ્યું: મને મારા જીવવાનો ભય લાગે છે, તો ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: બિલકુલ નહીં, અલ્લાહની કસમ! અલ્લાહ તમને ક્યારેય અપમાનિત નહીં કરે, તમે સંબંધો જોડો છો, નબળાઓનો ભાર ઉઠાવો છો, ફકીરો અને જરૂરિયાતમંદોને કમાવીને આપો છો, મહેમાનોનું ધ્યાન રાખો છો અને પોતાના અધિકારો મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરો છો. ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના કાકાના છોકરા વરકા બિન નૌફલ બિન સઅદ બિન અબ્દુલ ઉઝ્ઝા પાસે લઈને આવ્યા, તેઓ અજ્ઞાનતાના સમયે (ઇસ્લામ પહેલાનો સમય) ઈસાઈ થઈ ગયા હતા, અને ઇબ્રાની ભાષા લખી પણ શકતા હતા, તેથી તેઓ જેટલું અલ્લાહને મંજૂર હતું એટલી ઇબ્રાની ભાષામાં ઇન્જીલ લખતા હતા, તેઓ ખૂબ જ વૃદ્ધ અને અંધ થઈ ગયા હતા, તેમને ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: હે મારા પિતરાઇ ભાઈ! તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ પૂછ્યું: ભત્રીજા તમે શું જુઓ છો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે કઈ પણ જોયું હતું તે જણાવ્યું, તે સાંભળી વરકહએ કહ્યું: આ જિબ્રઈલ (વહી લાવવાવાળો ફરિશ્તો) છે જે મૂસા અલૈહિસ્ સલામ પર પણ વહી લઈને આવતો હતો, જો હું જુવાન હોત, અને જ્યાં સુધી તમારા લોકો તમને કાઢી ન નાખે ત્યાં સુધી જીવતો રહું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો શું મારી કોમ મને કાઢશે?! વરકહએ કહ્યું: હાં! જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવ્યો છે, જેવુ કે તમે લઈને આવ્યા છો, તેની સાથે જરૂર દુશ્મની કરવામાં આવી, અને જો મને તમારો સમય પ્રાપ્ત થયો તો હું જરૂર તમારી મદદ કરીશ. ફરી થોડા સમય પછી વરકહનું મૃત્યુ થઈ ગયું, અને વહી થોડા સમય સુધી બંધ થઈ ગઈ.